જામનગરરવિવારની સાંજ, જ્યારે મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે આરામની પળો માણી રહ્યા હતા અથવા આગામી સપ્તાહની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક દેશના ડિજિટલ વિશ્વમાં ભૂકંપ આવ્યો. દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર, રિલાયન્સ Jioનું નેટવર્ક એકાએક દેશભરમાં ખોરવાઈ ગયું. જામનગરથી લઈને જમ્મુ સુધી અને દિલ્હીથી લઈને દીવ સુધી, કરોડો વપરાશકર્તાઓના મોબાઈલ ફોન પરથી નેટવર્કના સિગ્નલ ગાયબ થઈ ગયા, જેના કારણે લોકો કલાકો સુધી ભારે હાલાકીનો ભોગ બન્યા.

આ નેટવર્ક બ્લેકઆઉટની અસર ખૂબ જ વ્યાપક હતી. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં તો સ્થિતિ વધુ ગંભીર બની હતી. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર જેવા શહેરોમાં પણ લાખો યુઝર્સ પ્રભાવિત થયા હતા.દેશભરમા લાખો લોકોના ઓનલાઈન વ્યવહારો, ઓનલાઈન ક્લાસ, અને વર્ક-ફ્રોમ-હોમનાં કાર્યો અટકી પડ્યા હતા.સાંજના સમયે બનેલી આ ઘટનાને કારણે ઓનલાઈન ફૂડ ડિલિવરી સેવાઓ, કેબ બુકિંગ એપ્સ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ ગંભીર અસર પડી હતી. લાખો નાના-મોટા વેપારીઓ કે જેઓ ડિજિટલ પેમેન્ટ પર નિર્ભર છે, તેઓ ગ્રાહકો પાસેથી ચુકવણી સ્વીકારી શક્યા ન હતા.
આ સમગ્ર સમયગાળા દરમિયાન, રિલાયન્સ Jio તરફથી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા જારી કરવામાં આવી ન હતી, જેના કારણે લોકોમાં અસમંજસ અને રોષની લાગણી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર લોકો પોતાની સમસ્યાઓ અને ફરિયાદ વ્યક્ત કરી રહ્યા હતા.જોકે, પડદા પાછળ કંપનીની ટેકનિકલ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલી રહી હોવાનું મનાય છે. કલાકોની જહેમત અને લાખો ગ્રાહકોની અસુવિધા બાદ, રાત્રિના લગભગ ૧૦ વાગ્યાની આસપાસ નેટવર્ક ધીમે ધીમે પાછું ફરવાનું શરૂ થયું હતું, ત્યારે જ લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ ઘટનાએ ફરી એકવાર એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી માત્ર એક સુવિધા નહીં, પરંતુ લોકોના જીવન અને દેશના અર્થતંત્રની એક અભિન્ન જરૂરિયાત બની ગઈ છે.