અમેરિકાની ધરતી પરથી આપેલું વિવાદાસ્પદ નિવેદન, મુકેશ અંબાણી અને રિલાયન્સને ટાર્ગેટ કરવાનો દાવો
કુરાનની આયતનો હવાલો આપી હવાઈ હુમલાનો સંકેત? ભારતની સુરક્ષા એજન્સીઓ સતર્ક

જામનગર, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં અત્યાર સુધીની સૌથી મોટી અને સીધી ધમકી આપતા, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસીમ મુનીરે ભારતના આર્થિક માળખા પર હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. એક સનસનાટીભર્યા અને ઉશ્કેરણીજનક નિવેદનમાં, તેમણે સ્પષ્ટપણે ગુજરાતના ગૌરવ અને વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી, જામનગરમાં સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ને નિશાન બનાવવાની વાત કરી છે. આ નિવેદન બાદ ભારતના સુરક્ષા અને ગુપ્તચર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને જામનગર સહિત દેશના તમામ સંવેદનશીલ પ્રતિષ્ઠાનો પર સુરક્ષા સમીક્ષા શરૂ કરવામાં આવી છે.આ ચોંકાવનારી ધમકી જનરલ આસીમ મુનીરે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરમાં આયોજિત એક ઔપચારિક રાત્રિભોજન દરમિયાન આપી હતી. તેમણે ભારતના આર્થિક લક્ષ્યો, ખાસ કરીને દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ તેલ સ્થાપનો પર હુમલો કરવાની પાકિસ્તાનની યોજનાનો ખુલાસો કર્યો હતો. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનના કોઈ સૈન્ય પ્રમુખે આટલી સ્પષ્ટતાથી ભારતના નાગરિક અને આર્થિક માળખાકીય સુવિધાઓને યુદ્ધનું નિશાન બનાવવાની વાત જાહેરમાં સ્વીકારી હોય.
મુનીરે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને RIL ના ચેરમેન મુકેશ અંબાણીને સીધા નિશાન બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો જેમાં મુકેશ અંબાણીના ફોટા સાથે કુરાનની એક આયત (સૂરા અલ-ફીલ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુનીરે દાવો કર્યો કે આ પોસ્ટ તાજેતરના તણાવ દરમિયાન તેમના જ નિર્દેશ પર પ્રકાશિત કરવામાં આવી હતી, જેથી ભારતને “આગળ શું થશે” તેનો સ્પષ્ટ સંદેશ મળી શકે.જનરલ મુનીરે જે સૂરા અલ-ફીલનો ઉલ્લેખ કર્યો છે તે ઇસ્લામિક ઇતિહાસની ‘સલ-એ-ફીલ’ (હાથીઓનું વર્ષ) ની ઘટનાનું વર્ણન કરે છે. આ આયત મુજબ, યમનના શાસક અબ્રાહાએ હાથીઓની વિશાળ સેના વડે પવિત્ર કાબાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અલ્લાહે અબાબીલ નામના પક્ષીઓનું ટોળું મોકલ્યું, જેમણે પોતાની ચાંચમાંથી શેકેલી માટીના પથ્થરો વરસાવીને સમગ્ર સેનાનો નાશ કરી દીધો હતો. સુરક્ષા નિષ્ણાતો મુનીરના આ ધાર્મિક સંદર્ભને આધુનિક યુદ્ધની પરિભાષામાં હવાઈ હુમલા, ખાસ કરીને ડ્રોન અથવા મિસાઈલ હુમલાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.
આ ધમકીને ભારત અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. જામનગર રિફાઇનરી ભારતની આર્થિક શક્તિનું પ્રતિક છે, જેની વાર્ષિક ક્ષમતા ૩૩ મિલિયન ટન ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ કરવાની છે, જે ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાના ૧૨% જેટલી છે. આ રિફાઇનરી માત્ર દેશની ઉર્જા જરૂરિયાતો જ પૂરી નથી કરતી, પરંતુ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસનું એક મુખ્ય કેન્દ્ર પણ છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ પહેલા પણ જામનગર રિફાઇનરી જેવા સ્થળો પર પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા હુમલાના ખતરા અંગે ચેતવણી આપી ચૂકી છે, પરંતુ પાકિસ્તાની આર્મી ચીફ દ્વારા સીધી ધમકી એ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હવે પરંપરાગત યુદ્ધની સાથે ભારતને આર્થિક રીતે નબળું પાડવાના પ્રયાસોને પણ પોતાની સત્તાવાર નીતિ બનાવી રહ્યું છે.