spot_img

જામનગર મનપાનો ઉદ્યોગકારો સામે કાયદાનો ડંડો: કરોડોની ટેક્સ વસૂલાત, અનેક ઉદ્યોગકારોમાં ફફડાટ: ત્રણ ઉદ્યોગકારોએ સ્થળ પર જ ભર્યા રૂ. ૫૮ લાખ; બાકીના સામે મિલ્કત જપ્તીની તલવાર

દરેડ જીઆઇડીસીમાં મનપાની મોટી કાર્યવાહી: ૪૦ કરોડના બાકી વેરા સામે કડક વસૂલાત શરૂ

હાઇકોર્ટમાં પિટિશન રદ થયા બાદ તંત્ર એક્શનમાં: કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ કામગીરી

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાએ આજે દરેડ જીઆઇડીસી ફેઝ-૨ અને -૩ વિસ્તારમાં ઉદ્યોગકારો સામે કાયદાનો સકંજો કસ્યો હતો. ભારે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી મનપાની ટીમે આશરે ૪૦૦ જેટલા ઉદ્યોગકારો પાસેથી બાકી રહેતો અંદાજે ૪૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની કડક કાર્યવાહી શરૂ કરી દેતાં ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ મચી ગયો હતો.

આજની કાર્યવાહીમાં શરૂઆતના તબક્કામાં માત્ર ત્રણ ઉદ્યોગકારો પાસેથી સ્થળ પર જ ૫૮ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે બાકીના ઉદ્યોગકારોને તાત્કાલિક ટેક્સ ભરવા માટે આદેશ કરવામાં આવ્યો છે, અન્યથા તેમની મિલકત જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.મહત્વની વાત એ છે કે, જામનગર મહાનગરપાલિકા અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ સેડ હોલ્ડર એસોસિએશન વચ્ચે અગાઉ ઓગસ્ટ ૨૦૨૩માં એક સમજૂતી કરાર (MOU) થયો હતો.

આ કરાર મુજબ ઉદ્યોગકારો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સની રકમના ૨૫ ટકા મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવશે, જ્યારે બાકીના ૭૫ ટકા રકમનો ઉપયોગ ઉદ્યોગનગર વિસ્તારમાં વિકાસના કાર્યો માટે કરવામાં આવશે. જો કે, ૪૦૦ જેટલા ઉદ્યોગકારોએ આ MOUનો સ્વીકાર કર્યો ન હતો અને તેઓ સૌપ્રથમ જામનગરની અદાલતમાં અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે પિટિશન લઈને ગયા હતા. પરંતુ, હાઇકોર્ટ દ્વારા થોડા સમય પહેલાં જ આ ઉદ્યોગકારોની પિટિશનને ફગાવી દેવામાં આવી હતી.હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા માટે બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો માર્ગ મોકળો થયો હતો. જેને પગલે મહાનગરપાલિકા દ્વારા તમામ બાકી ટેક્સ ધરાવતા ઉદ્યોગકારોને અંતિમ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. એટલું જ નહીં,

શહેરી વિસ્તારમાં ફરતી ટેક્સ રિકવરીની વાહનોને પણ ઉદ્યોગ વિસ્તારમાં મોકલીને વસૂલાત માટે છેલ્લી તક આપવામાં આવી હતી. તેમ છતાં, આશરે ૪૦૦ જેટલા ઉદ્યોગકારોએ ટેક્સ ભરવામાં કોઈ રસ દાખવ્યો ન હતો, જેના કારણે મહાનગરપાલિકાને આશરે ૪૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલવાની બાકી રહી ગઈ હતી.આ બાકી રકમની કડક વસૂલાત કરવાના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગના અધિકારી જીગ્નેશ નિર્મળ અને તેમની સમગ્ર ટેક્સ બ્રાન્ચની ટીમ તથા સિક્યુરિટી વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વસૂલાતની કાર્યવાહી શરૂ થતાં જ ઉદ્યોગકારોમાં ખળભળાટ મચી ગયો હતો અને જે ઉદ્યોગકારો પાસે સૌથી વધુ રકમ બાકી હતી તેમની પાસેથી વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરિણામે, ધીમે ધીમે ઉદ્યોગકારો દ્વારા સ્થળ પર જ ટેક્સ ભરવાનું શરૂ થઈ ગયું હતું.

આજની કાર્યવાહીમાં દરેડ જીઆઇડીસી વિસ્તારમાં બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ગયેલી ટેક્સ વિભાગની ટીમને શરૂઆતમાં જ ત્રણ ઉદ્યોગકારોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. જેમાં બે ઉદ્યોગકારો જેમની અંદાજે ૫૦ લાખ રૂપિયા જેટલી રકમ બાકી હતી, તેમની પાસેથી સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, એક આસામીએ પણ પોતાના બાકી રહેલા ૮ લાખ રૂપિયા મહાનગરપાલિકાને સ્થળ પર જ જમા કરાવી દીધા હતા. મનપાના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કોઈ ઉદ્યોગકાર હવે પણ પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આનાકાની કરશે તો તેમની મિલકત જપ્ત કરવાની પ્રક્રિયા પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે લેવાયેલું એક કડક પગલું છે, જેના પરિણામો આગામી દિવસોમાં જોવા મળશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles