spot_img

કાલાવડમાં વકીલની કરપીણ હત્યા: ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા, પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ

જામનગર, જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ગઈકાલે રાત્રે એક દુઃખદ ઘટના બની છે, જેમાં કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ એવા સ્વ. ઇમ્તિયાઝભાઈ કેસરભાઈ ડોડીયાની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને જામનગરના વકીલ આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કાલાવડની શીતલા કોલોની વિસ્તારમાં રહેતા એડવોકેટ ઇમ્તિયાઝભાઈ ડોડીયા (ઉ.વ. આશરે અંદાજિત) ગઈકાલે રાત્રે આશરે ૧૧.૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને ઘરનું તાળું ખોલી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર એટલે કે છરી વડે તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઇમ્તિયાઝભાઈ ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

બનાવની જાણ થતાં જ કાલાવડમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇમ્તિયાઝભાઈના ભાઈ આસિફભાઇ ડોડીયા સહિતના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત એડવોકેટને તાત્કાલિક સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ ઇમ્તિયાઝભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.આ કરુણ ઘટનાની જાણ થતાં કાલાવડ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવાનો આદેશ આપ્યો હતો.

જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધાની આગેવાની હેઠળ પોલીસની વિવિધ ટુકડીઓ રાતભર આરોપીઓને શોધવા માટે કોમ્બિંગ ઓપરેશનમાં જોડાઈ હતી. સ્થાનિક ગુના શોધક શાખા (એલસીબી)ની ટીમે પણ આ બાબતે સઘન તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં એક શકમંદને સકંજામાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લાલો ખવાસ નામના શખ્સ અને તેના સાગરીતો આ હત્યામાં સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા મૃતક એડવોકેટ ઇમ્તિયાઝભાઈ ડોડીયાના નાના ભાઈ આસિફભાઈ કેસરભાઇ ડોડીયાની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ અંગત કારણોસર આ હત્યા થઈ હોવાની દિશામાં તપાસ કરી રહી છે.એડવોકેટ ઇમ્તિયાઝભાઈ ડોડીયાની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં જ જામનગરના વકીલ મંડળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આજે વહેલી સવારે આશરે ૪.૩૦ વાગ્યે એડવોકેટ ઇમ્તિયાઝભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો, કાલાવડના વકીલ મંડળના સભ્યો અને જામનગર બાર એસોસિએશનના હોદ્દેદારો મોટી સંખ્યામાં જી.જી. હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને ભારે ગમગીનીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles