ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયુ હોવાના અહેવાલ
અમદાવાદમાં લંડન જતું એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડ્યું: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 223 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ભોગ બન્યાની આશંકા
અમદાવાદ Live:- આજે બપોરે ૧.૪૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર એક અત્યંત દુઃખદ ઘટના બની છે. લંડન (ગેટવિક) જતું એર ઈન્ડિયાનું વિમાન AI 171 ટેકઓફ કરતી વખતે ઘોડા કેમ્પ પાસે એક ઝાડ સાથે અથડાયા બાદ નજીકના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું છે. આ દુર્ઘટનાને પગલે વિમાનમાં સવાર ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ અને ૧ કેનેડિયન નાગરિક સહિત કુલ ૨૨૩ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ભોગ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ ફ્લાઈટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ તેમના પરિવારને લેવા લંડન જઈ રહ્યા હતા તેવા સમાચાર પ્રાપ્ત થયા છે.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, રહેણાંક વિસ્તારમાં પ્લેન તૂટી પડવાના કારણે આગની વિકરાળ જ્વાળાઓ ફેલાઈ ગઈ છે અને પ્લેનના પણ ટુકડે ટુકડા થઈ ગયા છે, જેના કારણે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ઘટનાને પગલે આસપાસના રસ્તાઓ પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે.
https://x.com/Bhupendrapbjp/status/1933089407793242188?t=AW2AfLBkNq-qiqHB796TbA&s=19
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તથા અન્ય સંબંધિત વરિષ્ઠ સચિવો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવાના આદેશો આપ્યા છે.
https://x.com/sanghaviharsh/status/1933094405730132095?t=C9ZZbqeZUTt2xWkFASadJg&s=19
આ ઉપરાંત, ૧૦૮ સહિતની તમામ એમ્બ્યુલન્સને પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોને પણ હાઈ એલર્ટ પર રહેવા જણાવી દીધું છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા તથા માનવ જિંદગી બચાવવા માટે વરિષ્ઠ અધિકારીઓને એરપોર્ટ અને હોસ્પિટલોમાં તૈનાત કરવામાં આવ્યા છે.
દુઃખદ ઘટનાની જાણ થતાં જ રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) શ્રી વિકાસ સહાય તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર દુઃખની આ ઘડીમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે છે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. તેમણે ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા પણ આદેશ આપ્યા છે.
આ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ પણ આ ગંભીર દુર્ઘટનાની માહિતી મળતાં જ દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થયા છે. તેઓ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવશે અને આગળની કાર્યવાહી અંગે માર્ગદર્શન આપશે તેવી માહિતી મળી રહી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ ઘટનાને લગતી કોઈપણ તાત્કાલિક માહિતી અથવા મદદ માટે ઇમરજન્સી નંબર 079-25620359 જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. હાલમાં બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.