અમદાવાદ શહેરમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી (ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) કમ્પાઉન્ડ નજીક આજે બપોરે 1:40 વાગ્યે એર ઈન્ડિયાનું બોઇંગ 717 વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઈટ નંબર 171 એ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી અને માત્ર બે મિનિટમાં જ તૂટી પડીને એક બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. અકસ્માતગ્રસ્ત વિમાનમાં આશરે 242 જેટલા મુસાફરો અને કાર્ગો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના તમામ રસ્તાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી બચાવ કાર્યમાં કોઈ અડચણ ના આવે. મેઘાણીનગર વિસ્તારમાં વિમાન તૂટી પડવાના સમાચારથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.હાલમાં આ વિમાનમાં સવાર મુસાફરો અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં આશરે 100 જેટલા મુસાફરોના મૃત્યુની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના અંગે તત્કાલ ગુજરાતના મુખ્યમંત્ત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ગૃહમંત્રીએ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી શ્રી


ભૂપેન્દ્ર પટેલ પણ આ દુર્ઘટનાની જાણ થતાં જ સુરતથી અમદાવાદ જવા માટે રવાના થઈ ગયા છે. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે.