હોસ્પિટલના જ બે કર્મચારીઓએ ભેગા મળીને, હોસ્પિટલના અંધેર અને બેદરકાર વહીવટનો લાભ ઉઠાવી, બોગસ વાઉચરો દ્વારા ૧૭.૨૦લાખ રૂપિયાની સરકારી રકમ પોતાના અંગત બેંક ખાતાઓમાં જમા કરાવી દીધી
જામનગર :સૌરાષ્ટ્રની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સરકારી તબીબી સંસ્થા તરીકે જાણીતી જામનગરની ગુરુ ગોબિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલના વહીવટી તંત્રમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેણે સમગ્ર આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.
હોસ્પિટલના જ બે કર્મચારીઓએ ભેગા મળીને, હોસ્પિટલના અંધેર અને બેદરકાર વહીવટનો લાભ ઉઠાવી, બોગસ વાઉચરો દ્વારા લાખો રૂપિયાની સરકારી રકમ પોતાના અંગત બેંક ખાતાઓમાં જમા કરાવી દીધી હતી. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તિજોરી કચેરીએ શંકાસ્પદ વ્યવહારો પકડી પાડ્યા, જેના પગલે હોસ્પિટલના વહીવટી અધિકારી દ્વારા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ કૌભાંડની ગંભીરતાને જોતાં, ગાંધીનગરથી ઉચ્ચ તબીબી વહીવટી અધિકારીઓની એક ટીમ વધુ તપાસ માટે જામનગર આવવા રવાના થઈ ગઈ છે.
આ સમગ્ર કૌભાંડની વિગતો એવી છે કે, જી.જી. હોસ્પિટલના વહીવટી વિભાગમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી (રહે. ૯ દિગ્વિજય પ્લોટ, જામનગર) અને દિવ્યા જયેશભાઈ મુંગરા (રહે. કૃષ્ણનગર, શેરી નં-૫, સોઢા સ્કૂલની સામે, જામનગર) દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોપીઓએ ઓક્ટોબર ૨૦૨૩ થી લઈને ૨ એપ્રિલ ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન, કર્મચારીઓના પગાર ચૂકવવા માટેના અસલી વાઉચરોની સાથે ડુપ્લીકેટ વાઉચરો પણ તૈયાર કર્યા હતા. આ ડબલ વાઉચરોના ઝાળ પર તેઓએ હોસ્પિટલના વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓના હસ્તાક્ષર કરાવી લીધા હતા, જેઓ અજાણતા જ આ કૌભાંડનો ભાગ બની ગયા હતા.
આ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે જામનગરની લાલ બંગલા સ્થિત તિજોરી કચેરીના અધિકારીઓએ અલગ-અલગ કર્મચારીઓના નામના વાઉચરો પર એક જ બેંક ઓફ બરોડાના એકાઉન્ટ નંબર ૦૩૬૭૦૧૦૦૦૫૫૮૪૪ વારંવાર આવતો હોવાનું ધ્યાને લીધું. શંકા જતા તેમણે ઉંડાણપૂર્વક તપાસ કરી અને સમગ્ર મામલાની જાણ જી.જી. હોસ્પિટલના વહીવટી ફરજ બજાવતા ડો. ભાવિનભાઈ કણસાગરા અને તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીને કરી. તિજોરી અધિકારી દ્વારા સમગ્ર પુરાવા રજૂ કરાતા હોસ્પિટલના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે સ્વીકાર્યું કે તેમની પાસે બોગસ વાઉચર મા શાહીનો કરાવીને એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.આ ઘટના બાદ, હોસ્પિટલના વહીવટી વિભાગના ડો. ભાવિન ચંપકભાઈ કણસાગરાએ જામનગર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ૨૦૨૩ની કલમ ૩૧૬(૫) (સરકારી કર્મચારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત) અને ૫૪ હેઠળ ગુનો નોંધ્યો છે, ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ સરકારી નાણાં હોવાનું જાણતા હોવા છતાં, અંગત ફાયદા માટે અંદાજિત રૂ. ૧૭,૨૦,૦૦૦ જેવી માતબર રકમની ઉચાપત કરી છે.
આ રકમ બેંક ઓફ બરોડાના ખાતા ઉપરાંત અન્ય ત્રણ ખાતાઓ, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટ નંબર ૨૦૩૩૮૯૪૧૭૨૯, ૩૮૫૯૭૧૫૪૧૫૩, અને ૨૦૩૭૫૭૬૯૮૭૬ નો સમાવેશ થાય છે, તેમાં જમા થઈ હોવાનું માલુમ પડ્યું છે. આ સમગ્ર કેસની તપાસની જવાબદારી જામનગર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.પી. સોઢાને સોંપવામાં આવી છે.