
જામનગર: કાલાવડ નજીકના મોટા ભાડુકિયા સંપૂર્ણ ગામ હાલ શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભક્તિમય માહોલમાં તરબોળ છે. ગામમાં આયોજિત આ પવિત્ર કથા જ્ઞાનયજ્ઞને કારણે ચારે તરફ અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે અને સમગ્ર ગામ રાસ-ગરબા તથા ભક્તિના રંગે રંગાઈ રહ્યું છે, જ્યાં વ્યાસપીઠ ઉપરથી પૂજ્યપાદ શાસ્ત્રી પ.પૂ. શ્રી પ્રદીપભાઇ પંડયા બિરાજી પોતાની આગવી અને સંગીતમય શૈલીમાં શ્રી ભાગવતજીની કથાનું રસપાન કરાવી ભક્તોને ભક્તિભાવમાં લીન કરી રહ્યા છે.


આ સપ્તાહના ત્રીજા દિવસે કથાના વિવિધ પ્રસંગોનું ભક્તિરસ સભર શ્રવણ કરાવવામાં આવ્યું હતું, જેમાં કપીલ ચરિત્ર, જડભરત કથા, રહગણ સંવાદ, નૃસિંહ પ્રાગટ્ય, પ્રહલાદ ચરિત્ર અને ગજેન્દ્રમોક્ષ કથા જેવા મુખ્ય પ્રસંગો આવરી લેવાયા હતા, કથા શ્રવણ માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સૌએ સાથે મળીને ભાવપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કથાના ત્રીજા દિવસે શુક્રવાર હોવાથી અને જામનગરનો બ્રાસ ઉદ્યોગ સામાન્ય રીતે શુક્રવારે બંધ રહેતો હોવાને કારણે, જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી અનેક ભક્તો કથા શ્રવણ અને દર્શન માટે મોટા ભાડુકિયા પધાર્યા હતા, જેના કારણે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
