spot_img

જામનગર પર યુદ્ધની તણાવપૂર્ણ પરિસ્થિતિનો પડછાયો: વીજળીવેગે ધંધા-રોજગાર બંધ કરવા અને સલામત સ્થળે રહેવા કલેક્ટરનો આદેશ, આપત્કાલીન સ્થિતિના નિર્માણની શક્યતા

જામનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં પ્રવર્તી રહેલી અત્યંત તણાવપૂર્ણ યુદ્ધ જેવી પરિસ્થિતિ તથા ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલ એર સ્ટ્રાઈકના પગલે સરહદી વિસ્તારોમાં યુદ્ધની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, અને આ પરિસ્થિતિમાં પાકિસ્તાન તરફથી ભારતીય સરહદી વિસ્તારોમાં લગાતાર બૉમ્બ ફાયરિંગ અને ડ્રોન એટેક જેવા ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે આ ગંભીર પરિસ્થિતિના પગલે જામનગર સ્થિત એરફોર્સ સ્ટેશન દ્વારા પણ સ્થાનિક વહીવટી તંત્રને ચોક્કસ આગાહી અને વોર્નિંગ આપવામાં આવી છે,

જે મુજબ કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ ટ્વીટ કરી યાદી જાહેર કરીને જામનગર શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને અત્યંત તાકીદ અને અપીલ કરવામાં આવી છે કે, પ્રવર્તમાન સંજોગોમાં આપત્કાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાથી સુરક્ષાના કારણોસર કોઈ પણ નાગરિકોએ પોતાના ઘરની બહાર બિનજરૂરી રીતે રહેવું નહીં તેમજ શહેરના તમામ વેપાર ધંધા અને રોજગારને પણ તુરંત જ બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે;

કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જામનગરના તમામ લોકોને પોતાના ઘરમાં જ સુરક્ષિત રહેવા અથવા કોઈપણ સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે અને જાહેર માર્ગો પર કોઈપણ ભોગે ભીડ કરવી નહીં કે રહેવું નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી તૈયારીમાં હોવાનું પણ કલેક્ટર દ્વારા જણાવાયું છે, પરંતુ નાગરિકોની સુરક્ષા સર્વોપરી હોવાથી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એ સમયની માંગ છે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના અથવા ગભરાટ ફેલાવ્યા વિના શાંતિ અને શિસ્ત જાળવીને તંત્રને સહયોગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે, જેથી આ સંકટના સમયમાં જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

જામનગર જિલ્લામાં ૨૪ મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ: સંવેદનશીલતા અને સુરક્ષાના પગલાં****જામનગર, તા. :** જામનગર જિલ્લો પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિ અને ભારતીય વાયુસેના દ્વારા થયેલ એર સ્ટ્રાઈકના પગલે જિલ્લાના અગત્યના સંરક્ષણ અને ઔદ્યોગિક એકમોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બે મહત્વપૂર્ણ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

આ જાહેરનામા આગામી તા. ૨૪ મે, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.જિલ્લામાં આવેલા મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન (જામનગર અને સમાણા), આઈએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, જી.એસ.એફ.સી. સહિતના મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા અત્યંત મહત્વની છે. જિલ્લામાં કુલ ૧૫૪ ક્રિટિકલ/સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન (૧૧૨) અને યલો ઝોન (૪૨) માં વિભાજિત કરાયા છે. આ વિસ્તારોની આસપાસ ફટાકડા ફોડવાને કારણે સામાન્ય લોકોમાં વાઈટલ ઇન્સ્ટોલેશન પર એર સ્ટ્રાઈક જેવી અફવાઓ ફેલાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેરે સમગ્ર જામનગર જિલ્લામાં તા. ૨૪-૦૫-૨૦૨૫ સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

ઉપર જણાવેલ સંવેદનશીલતા અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષાના ભાગરૂપે, ખાસ કરીને ૧૫૪ ક્રિટિકલ/સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સ (૧૧૨ રેડ ઝોન, ૪૨ યલો ઝોન) ની આસપાસ ડ્રોન ઉડાડીને સંવેદનશીલ સ્થળોની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓ રહેલી છે. આ જોખમને ટાળવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું પણ આગામી તા. ૨૪-૦૫-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.ઉપરોક્ત બંને જાહેરનામાઓનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવાયું છે. આદેશનો અમલ તા. ૧૦ મે થી શરૂ થયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles