જામનગર તા. ૧૦ મે: ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલીભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આજે તા. ૧૦-૦૫-૨૦૨૫ ના રોજ રાત્રીના ૮:૦૦ કલાકથી લઈને આવતીકાલ તા. ૧૧-૦૫-૨૦૨૫ ના સવારે ૬:૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામા અન્વયે જિલ્લાના તમામ નાગરિકોને આ નિર્ધારિત સમય દરમિયાન પોતાના ઘરો તથા તમામ સ્થળોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે, અને માત્ર મુખ્ય વીજ પુરવઠો બંધ રાખવા પૂરતું સીમિત ન રહેતાં, કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જારી કરાયેલ અપીલ મુજબ, જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો કે સ્થળો જ્યાં જનરેટર, ઇન્વર્ટર જેવા વૈકલ્પિક પાવર સ્ત્રોત ઉપલબ્ધ હોય તેનો પણ આ સમયગાળા દરમિયાન ઉપયોગ ન કરવા તથા પ્રકાશ ફેલાવતા હોય તેવા કોઈપણ ઉપકરણોને ચાલુ ન રાખવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષાના કારણોસર સંપૂર્ણ અંધારપટ જાળવવાનો છે.
જામનગરવાસીઓને આ સંવેદનશીલ સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલ આ બ્લેકઆઉટના આદેશનો ચુસ્તપણે અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમયાંતરે મળતી તમામ સૂચનાઓનું પાલન કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ સહકાર આપવા માટે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી છે.