જામનગર તા હાલની અસામાન્ય પરિસ્થિતિ અને સુરક્ષાના કારણોસર, ખાસ કરીને પાડોશી કચ્છ જિલ્લામાં કેટલાક ડ્રોન જોવા મળ્યા હોવાના અહેવાલો બાદ, જામનગર જિલ્લામાં પણ તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે; કચ્છ જિલ્લાના કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરીને તમામ નાગરિકોને તેનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે, જેની પુષ્ટિ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કરવામાં આવી છે, તેમણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં અનેક ડ્રોન જોવા મળ્યા છે અને તેના પગલે સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે તથા નાગરિકોને સુરક્ષિત રહેવા અને ગભરાવું નહીં તેવી અપીલ પણ કરી હતી; આ જ સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આજે તા.૧૦ મે ૨૦૨૫ ના રોજ રાત્રીના ૧૧.૦૦ કલાક થી આવતીકાલ તા.૧૧ મે ૨૦૨૫ સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જામનગર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે; કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જામનગર જિલ્લાના તમામ રહેવાસીઓને આ નિર્ધારિત સમયગાળા દરમિયાન વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો કે જ્યાં જનરેટર અથવા ઇન્વર્ટર જેવા વૈકલ્પિક વીજળી સ્ત્રોત ઉપલબ્ધ હોય, ત્યાં પણ પ્રકાશ ફેલાવતા તમામ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે; તેમણે જામનગરવાસીઓને બ્લેકઆઉટનો ચુસ્તપણે અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ સંબંધિત સમયાંતરે આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા માટે પણ ભારપૂર્વક અનુરોધ કર્યો છે; આ બ્લેકઆઉટનો હેતુ રાત્રિના સમયે કોઈપણ પ્રકારના પ્રકાશને ટાળીને સુરક્ષા દળોને સંભવિત જોખમોને ઓળખવામાં અને તેને નિષ્ફળ બનાવવામાં મદદ કરવાનો છે, અને આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં નાગરિકોનો સહકાર અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે.