ગાંધીનગર તા. ૦૯ મે: ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવપૂર્ણ વાતાવરણના પગલે સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સુરક્ષા સજ્જતા અને એકંદર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સવારે ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ જોષી સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીન અને હવાઈ સીમાથી જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગર જિલ્લાઓ સહિતના વિસ્તારોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા હોવાના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય અધિકારીઓ પાસેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમના જિલ્લામાં હાથ ધરાઈ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિસ્તૃત વિગતો મેળવી હતી; આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ખાસ કરીને પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપવાની સાથોસાથ આપાતકાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા વૈકલ્પિક દૂરસંચાર અને સંપર્કના માધ્યમોની તાત્કાલિક ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી;
તેમણે તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા, નાગરિક સંરક્ષણની સજ્જતા ચકાસવા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ કરવા તેમજ પાણી, ખોરાક અને અન્ય આવશ્યક સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી, તેમજ નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તકેદારીના ભાગરૂપે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થાનો પૂરતો સંગ્રહ કરી લેવા પણ સૂચનો કર્યા હતા; આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈપણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો પણ મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબાઇલાઈઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ તેમણે જિલ્લાના વડાઓને આપી હતી;
આ ઉપરાંત, લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું અને લોકોને સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો અનુરોધ કર્યો હતો; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું અને એરફોર્સ, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ જેવી કેન્દ્રીય એજન્સીઓની સરહદી વિસ્તારોમાં સતર્ક કામગીરીની સરાહના કરતાં તેમને જરૂરિયાત મુજબની મદદ રાજ્ય સરકાર દ્વારા ત્વરાએ મળશે તેવી ખાતરી પણ આપી હતી;
આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય ઉપરાંત મહેસુલ, ઊર્જાના અધિક મુખ્ય સચિવો, શહેરી વિકાસ, ઉદ્યોગ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા, વાહન વ્યવહાર અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિભાગોના અગ્ર સચિવો, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ અને કેન્દ્રીય એજન્સીઓ એરફોર્સ તેમજ લશ્કર અને બી એસ એફના અધિકારીઓ પણ જોડાયા હતા.