સરકારી વકીલ તરીકે, તેમણે એક સાથે 9 આરોપીઓને આજીવન કેદની સજા અપાવીને રેકોર્ડ સ્થાપ્યો છે. તેમના મતે, “કોમલ કમજોર નથી, સ્ત્રી શક્તિનું નામ છે. જે સૌને જીવન આપે છે
જામનગર, તા. ૮ માર્ચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, જાણીતા એડવોકેટ કોમલ ભટ્ટે મહિલાઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. વકીલાતના ક્ષેત્રમાં, ખાસ કરીને ગુનાહિત કેસોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર કોમલ ભટ્ટ કહે છે કે, “વકીલાત, એ પણ ગુનાહિત ક્ષેત્રમાં, એક પડકાર છે. શરૂઆતમાં, જ્યારે અસીલોને શંકા થતી કે આ સ્ત્રી તેમને કેવી રીતે નિર્દોષ સાબિત કરશે, ત્યારે મેં મારા જ્ઞાન અને કાબેલિયતથી તેમને ખોટા સાબિત કર્યા.”તેમણે ભારતમાં સૌથી નાની ઉમરે ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે સૌથી વધુ કેસોના નિરાકરણ માટે રાષ્ટ્રીય સન્માન મેળવ્યું છે.
સરકારી વકીલ તરીકે, તેમણે એક સાથે 9 આરોપીઓને આજીવન કેદની સજા અપાવીને રેકોર્ડ સ્થાપ્યો છે. તેમના મતે, “કોમલ કમજોર નથી, સ્ત્રી શક્તિનું નામ છે. જે સૌને જીવન આપે છે, તે માં પણ સ્ત્રી સામે હારી જાય છે.” તેમણે મહિલાઓને આ ભાવના રાખવા અને પોતાની શક્તિનો સદુપયોગ કરવા જણાવ્યું છે.કોમલ ભટ્ટ માને છે કે સમજદારી, સંવેદનશીલતા અને કાબેલિયત એ સ્ત્રીની ઓળખ છે. તેમણે પીડિત મહિલાઓ અને તેમના પીડિત સ્વજનો (પુરુષો પણ) માટે 26 વર્ષના વકીલાતના અનુભવ પછી 2025ના વિશ્વ મહિલા દિવસથી ન્યૂનતમ દરે કાયદાકીય સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે.તેઓ આપણી સંસ્કૃતિનો ઉલ્લેખ કરે છે,
જ્યાં સતી શ્રી ગાર્ગીએ મહારાજ જનકની સભામાં પુરુષોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા અને સતી અનસૂયાએ ત્રિદેવોને શિશુ બનાવ્યા હતા. તેઓ કહે છે કે, “આવા ઉદાહરણો દર્શાવે છે કે સ્ત્રી હંમેશા પુરુષ સમોવડી રહી છે.” તેમણે દરેક સ્ત્રીને શિક્ષણ અથવા કોઈ એક વિષયમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા, નાણાકીય સ્થિરતા કેળવવા અને આત્મસન્માન અને અભિમાન વચ્ચેની પાતળી રેખાને ઓળંગ્યા વિના સજાગ રહેવા જણાવ્યું છે. તેમણે મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે સભાન રહેવા પણ જણાવ્યું છે.