

રમેશભાઈ મુખ્યાજી સહ પરિવાર દ્વારા આયોજિત અનોખો મહોત્સવ, જામનગરવાસીઓને ભવ્ય છપ્પનભોગના દર્શન કરવાની તક મળશે
જામનગર: શ્રી દ્વારકાધીશ મંદિરમાં પ્રથમ વખત ઐતિહાસિક છપ્પનભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મહોત્સવમાં વૈષ્ણવ સમાજની મહિલાઓએ ૧૦,૦૦૦થી વધુ પ્રસાદના પેકેટ તૈયાર કર્યા છે. આ મહોત્સવ આવતીકાલે સાંજે ૪:૦૦ થી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી યોજાશે. આ ભવ્ય મહોત્સવમાં શ્રી દ્વારકાધીશ પ્રભુને છપ્પનભોગ આરોગવાનો શુભ મનોરથ આવતીકાલે પાંચમના શુભ દિવસે નિર્ધારિત કરેલ છે. આ અલૌકિક મનોરથ શ્રી દ્વારકાધીશ પ્રભુના સાત્રિધ્યમાં સૌપ્રથમ વખત આયોજિત કરવામાં આવેલ છે.

આ મહોત્સવમાં જામનગરવાસીઓને ભવ્ય છપ્પનભોગના દર્શન કરવાની તક મળશે. આ સાથે જ, શ્રી દ્વારકાધીશ મંદિર પરિસરમાં પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

શ્રીપુષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત આ મહોત્સવમાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રી અને પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીની પણ ઉપસ્થિતિ રહેશે.

આ ઉપરાંત, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સાંસદ પરિમલભાઈ નથવાણી, ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ્રભાઈ હરીદાસભાઈ લાલ, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, નોબત દૈનિકના ચેતનભાઈ માધવાણી, રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત શિક્ષણવિદ દિલીપભાઈ આશર અને ખોડલધામના ટ્રસ્ટી જીતુભાઈ કમાણી સહિતના મહાનુભાવો પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
આ મહોત્સવમાં મુખ્ય મનોરથી ગં.સ્વ. મંજુલાબેન લક્ષ્મીદાસ પુજારા પરિવાર છે. આ પરિવાર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દર્શનાર્થીઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દર્શન કરવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર, કિશાન ચોક રોડ, જામનગર ખાતે આવી શકાય છે. વાહન પાર્કિંગની સુવિધા રામબાગ, સોનીની વાડીની સામે ઉપલબ્ધ રહેશે.આ મહોત્સવમાં વૈષ્ણવ સમાજના લોકો પણ ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્યક્રમમાં દર્શનનો ધર્મલાભ મેળવશે.