
જામનગર: જામનગરનું હવાનું પ્રદૂષણનું સ્તર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતાજનક છે. દિલ્હી પછી હવે જામનગરની હવા પણ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) 100 ને પાર પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
તાજેતરના માપદંડો અનુસાર, જામનગર સૌરાષ્ટ્રનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. 160ના AQI સાથે શહેરની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવ્યું છે.આ પરિસ્થિતિ માટે સ્થાનિક ઉદ્યોગોને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો અને હાનિકારક વાયુઓ હવાને પ્રદૂષિત કરી રહ્યા છે. આ ઉપરાંત, વાહન વ્યવહાર અને ધૂળના કણો પણ હવા પ્રદૂષણમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.
ચિંતાજનક બાબત એ છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ સમસ્યા પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં, બોર્ડ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ઉદ્યોગોમાં જે ભઠ્ઠીઓમાં જે ચીમનીઓ ફીટીંગ કરવામાં આવે છે તેમાં પણ 80 ટકા ધુમાડાઓ ખુલ્લા વાતાવરણમાં ભળી રહ્યા છે. આવી ચીમનીઓ બનાવનારા સામે કોઈ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. જામનગરના નાગરિકો આ પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છે. પ્રદૂષણના કારણે શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી રહી છે.
ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પ્રદૂષણથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે.આ સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઉદ્યોગો પર કડક નજર રાખવી જોઈએ અને પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
આ ઉપરાંત, શહેરમાં વૃક્ષારોપણ કરવા, વાહન વ્યવહારને નિયંત્રિત કરવા અને ધૂળના કણોને નિયંત્રિત કરવા માટેના પગલાં લેવા જરૂરી છે.જો આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન ન આપવામાં આવ્યું તો, જામનગરની હવાની ગુણવત્તા વધુ બગડશે અને નાગરિકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડશે.
Jay Mataji