
સતત ૧૧ વર્ષથી પ્રમુખપદે બિરાજમાન ભરતભાઈએ મંડળનું ભંડોળ ૧ લાખથી વધારી ૫૫ લાખે પહોંચાડ્યું: કોર્ટ બિલ્ડિંગને શહેરમાં જ રાખવાના સફળ સંઘર્ષના સારથી અને વકીલોના સાચા હિતરક્ષક.
જામનગર:
જામનગરના કાયદાકીય ક્ષેત્રમાં પોતાની આગવી કોઠાસૂઝ, નિડર સ્વભાવ અને પારદર્શક વહીવટ માટે જાણીતા જામનગર વકીલ મંડળના યશસ્વી પ્રમુખ ભરતભાઈ સુવાનો આજે જન્મદિવસ છે, જેને લઈને સમગ્ર વકીલ આલમમાં અનેરા ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. સને ૧૯૯૬માં જામનગરના નામાંકિત સિનિયર એડવોકેટ વી.એચ. કનારા સાહેબના માર્ગદર્શન હેઠળ વકીલાત ક્ષેત્રે પદાર્પણ કરનાર ભરતભાઈએ ખુબ જ ટૂંકા ગાળામાં સિવિલ, ક્રિમિનલ અને રેવન્યુ પ્રેક્ટિસમાં એક શિરમોર નામ પ્રસ્થાપિત કર્યું છે.
ભરતભાઈ સુવાની લોકપ્રિયતા અને તેમની કાર્યશૈલીનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે, તેઓ સને ૨૦૧૪માં સેક્રેટરી તરીકે બિનહરીફ ચૂંટાયા હતા અને ત્યારબાદ ૨૦૧૫થી લઈને ૨૦૨૫ સુધીના સળંગ ૧૧ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન તેઓ સતત જંગી બહુમતીથી પ્રમુખ પદે ચૂંટાઈ આવી એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જ્યારે તેમણે મંડળનું સુકાન સંભાળ્યું ત્યારે સંસ્થાનું ભંડોળ માત્ર ૧ લાખ રૂપિયા હતું, પરંતુ ભરતભાઈની કુનેહ અને પ્રામાણિક વહીવટને કારણે આજે વકીલ મંડળનું ભંડોળ ૫૫ લાખ રૂપિયાના આંકડાને પણ વટાવી ગયું છે.
વકીલોના કલ્યાણને હંમેશા પ્રાધાન્ય આપતા ભરતભાઈએ ૨૦૧૫માં ‘વેલફેર ફંડ’ અને ‘સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર ફંડ’ની સ્થાપના કરી હતી, જેમાં આજે અનુક્રમે ૨૩ લાખ અને ૧૨ લાખ જેટલી માતબર રકમ જમા છે; આ ફંડનો ઉપયોગ દિવંગત વકીલોના પરિવારને આર્થિક સહાય, જુનિયર વકીલોને મદદ અને અકસ્માત સમયે ટેકો આપવા માટે કરવામાં આવે છે.
તેમની નેતૃત્વ શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે જામનગરની નવી કોર્ટ બિલ્ડિંગ શહેરથી દૂર ગોરધનપર ખાતે જઈ રહી હતી, ત્યારે ભરતભાઈએ સફળ રજૂઆતો થકી તેને શહેરમાં જ યથાવત રાખી અને કોર્ટની બાજુમાં જ તમામ સુવિધાયુક્ત ‘એડવોકેટ ભવન’ માટે સરકારશ્રી પાસેથી જમીન અને ગ્રાન્ટ મંજૂર કરાવી. કોરોનાના વસમા કાળમાં પણ તેમણે વકીલ મિત્રોના ઘરે રાશનકીટ અને મેડિકલ સહાય પહોંચાડીને માનવતા મહેકાવી હતી. સ્પષ્ટ વક્તા અને વકીલોના પ્રશ્ને હંમેશા અડગ રહેતા ભરતભાઈ સુવાને તેમના જન્મદિવસે વકીલ મિત્રો, સ્નેહીજનો અને બહોળો ચાહકવર્ગ ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે.
(શુભેચ્છા સંપર્ક: ૯૯૦૯૫ ૨૦૮૫૭)


