spot_img

જામનગરમાં દિવાળીની ભવ્ય ઉજવણી: આકાશ રેકોર્ડ બ્રેક આતશબાજીથી ગાજ્યું, ધરા કલાત્મક રંગોળીઓથી શણગારાઈ

લોટસ એપાર્ટમેન્ટની ‘યશોદા કા નંદ લાલા’ રંગોળીએ આકર્ષણ જમાવ્યું; ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ વડીલો-વંચિતો સાથે પર્વ મનાવી સેવાનો દીપ પ્રગટાવ્યો

જામનગર:પ્રકાશ અને ઉલ્લાસના મહાપર્વ દિવાળીની સમગ્ર જામનગર શહેરમાં અભૂતપૂર્વ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે દિવાળીનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. એક તરફ, રાત્રિના સમયે શહેરનું આકાશ રેકોર્ડ બ્રેક ફટાકડા અને રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું, જેણે આકાશમાં અદભુત નજારો સર્જ્યો હતો. તો બીજી તરફ, શહેરના આંગણાઓ અને ફ્લોર અવનવી કલાત્મક રંગોળીઓથી રંગાયા હતા, જેણે દિવાળીની રોનકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ ભવ્ય ઉજવણી વચ્ચે, શહેરના રહેવાસીઓએ કલાત્મકતા પ્રદર્શિત કરી હતી, તો જનપ્રતિનિધિઓએ સેવા અને કરુણાનો સંદેશો પાઠવીને પર્વને સાચા અર્થમાં સાર્થક કર્યું હતું.શહેરભરમાં દિવાળીની અનેક કલાત્મક અભિવ્યક્તિઓ જોવા મળી, પરંતુ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલા લોટસ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પોતાની સર્જનાત્મકતાથી સૌનું દિલ જીતી લીધું હતું. અહીં એપાર્ટમેન્ટના પહેલા માળે વસતા ફ્લેટ ધારકો, જેમાં મહિલાઓ અને પુરુષો બંને સામેલ હતા, તેઓએ સાથે મળીને એક અદભુત અને વિશાળ રંગોળીનું નિર્માણ કર્યું હતું. ચાર કલાકથી પણ વધુ સમયની અથાક મહેનત બાદ, નેચરલ ફૂલો અને વિવિધ આકર્ષક કલરોનો ઉપયોગ કરીને ‘યશોદા કા નંદ લાલા’ના મનોહર ગ્રાફિક્સ સાથેની આ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

આ કલાકૃતિ એટલી આકર્ષક હતી કે તે માત્ર એપાર્ટમેન્ટ પૂરતી સીમિત ન રહેતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની અને લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવાળીના આ પવિત્ર અવસરે, જ્યારે સૌ કોઈ પોતાના પરિવાર સાથે ઉત્સવ મનાવી રહ્યું હતું, ત્યારે શહેરના નેતાઓએ સમાજના વંચિત અને વડીલો સાથે સમય વિતાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીએ પોતાની પ્રતિ વર્ષની પરંપરાને આ વર્ષે પણ જાળવી રાખી હતી. તેઓએ દિવાળી પર્વની ઉજવણી પોતાના જનસંપર્ક કાર્યાલય પર, ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાના બાળકો સાથે કરી હતી. બાળકો સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને તેઓએ આ માસૂમ ચહેરાઓ પર જે ખુશી લાવી, તે જ સાચી દિવાળી હતી.

આ જ રીતે, રાજ્યના પૂર્વ મંત્રી અને અગ્રણી નેતા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ દિપાવલી પર્વની ઉજવણી સેવાયજ્ઞ સાથે કરી હતી. તેઓ પોતાના પરિવારજનો સાથે શહેરના શરુ સેક્શન રોડ પર સ્થિત પંચવટી સોસાયટી ખાતે આવેલા જામ રણજીતસિંહ વૃદ્ધાશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વડીલો સાથે દિવાળી મનાવી, તેમના સુખ-દુઃખની વાતો સાંભળી અને તેમના અમૂલ્ય આશીર્વાદ મેળવી પર્વને સાર્થક કર્યું હતું. આટલેથી ન અટકતાં, હકુભા જાડેજાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અંધજન તાલીમ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેત્રહીન ભાઈઓ સાથે ભાવસભર વિચારગોષ્ઠી કરી, સૌનું મ્હો મીઠું કરાવ્યું અને તમામને સન્માનિત કરી દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આમ, જામનગરની આ દિવાળી આતશબાજી, કલા અને સેવાની ભાવનાનો ત્રિવેણી સંગમ બની રહી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles